May 17, 2024

સોમનાથ પહોંચેલા વિજય રૂપાણીએ કહ્યું- લોકોનો ભાજપ પ્રત્યે વધ્યો પ્રેમ

સોમનાથ: આજે મહાશિવરાત્રિના મહા પર્વ પર સોમનાથમાં વહેલી સવારથી ભક્તોની ભીડ ઉમટી છે. આજના પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે. હર હર મહાદેવના નાદ સાથે શિવ ભક્તો મહાદેવની આરાધનામાં ભક્તિમય બની ગયા છે. ત્યારે આજે પૂર્વ સીએમ વિજય રૂપાણી સોમનાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા છે.

મહાશિવરાત્રિને લઇને સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ લાંબી લાઇનો લાગી છે. તો ભક્તોએ મહાદેવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી છે. આજે પૂર્વ સીએમ વિજય રૂપાણી સોમનાથ મંદિરે દર્શન માટે પહોંચ્યા હતા. અહીં તેમણે લોકસભાની ચૂંણટીને લઇને પ્રતિક્રિયા આપી હતી. તેમણે લોકસભા ચૂંટણીમાં ભાજપના જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, NDA ની 400 + બેઠકો પર જીત મળશે.

વધુમાં જણાવતા તેમણે જણાવ્યું કે, 400 + બેઠકો પર જીત મેળવવાનો PM મોદીનો સંકલ્પ છે. મેં ટિકિટ માંગી પણ નથી અને લડીશ પણ નહિ. હું અન્ય રાજ્ય ની જવાબદારી સંભાળું છું. આ સિવાય તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર કોંગ્રેસના નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે. કોંગ્રેસ ડૂબતી નાવ છે, લોકોનો ભાજપ પ્રત્યે પ્રેમ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં ધામધૂમ પૂર્વક મહાશીવરાત્રિની ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે પૂર્વ સીએમ રૂપાણી સોમનાથ મંદિરે દર્શને પહોંચ્યા હતા.