May 18, 2024

હવે રાજ્યમાં પરશોત્તમ રૂપાલા મામલે પાટીદાર VS ક્ષત્રિય

સૌરાષ્ટ્રના SPG અધ્યક્ષ કલ્પેશ રાંકએ પરશોત્તમ રૂપાલાને સમર્થન આપ્યું છે.

રાજકોટ: લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં પરશોત્તમ રૂપાલાના નિવેદનને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે, ગુજરાતમાં રાજપૂત સમાજ દ્વારા સતત પરશોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભાની ટિકિટ રદ કરવાની માગ કરવામાં આવી રહી છે. ત્યાં જ ક્ષત્રિય સમાજ આ મામલે રૂપાલાની માફી બાદ પણ સમાધાનના મૂડમાં નથી એવામાં હવે પાટીદાર સમાજના યુવાનો અને સૌરાષ્ટ્ર SPG ગ્રુપ પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યું છે.

સૌરાષ્ટ્રના SPG અધ્યક્ષ કલ્પેશ રાંકએ પરશોત્તમ રૂપાલાને સમર્થન આપ્યું છે. ‘સૌરાષ્ટ્રના SPG અધ્યક્ષ કલ્પેશ રાંકએ જણાવ્યું છે કે, પરશોત્તમ રૂપાલાએ બે વાર માફી માંગી છતાં ક્ષત્રિય સમાજ તેમનો વિરોધ કરી તેમની ટિકિટ રદ થાય તેવી માંગ કરી રહ્યો છે. પરશોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ સામે બે વખત માફી માગી છે એક વખત મીડિયા સામે અને બીજી વખત ક્ષત્રિય સમાજના આયોજનમાં તેમના સ્ટેજ પર જઇને માફી માગી છે છતા ક્ષત્રિય સમાજમાં તેમના સામે રોષ છે. તેઓએ તેમને માફ કરી દેવા જોઇએ. તે છતા તેમનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.’

વધુમાં કલ્પેશ રાંકએ ક્ષત્રિય સમાજ સામે એવી પણ અપીલ કરી છે કે, ‘ક્ષત્રિય સમાજ દ્વારા હવે પરશોત્તમ રૂપાલાને માફ કરી દેવા જોઈએ. ક્ષત્રિય સમાજનો રોષ રાજકીય રંગ આપી રહ્યો હોવાનું લાગી રહ્યું છે. પરશોત્તમ રૂપાલાને તમામ રીતે સહયોગ આપવા SPG મદદ કરશે. સાથે જ પરશોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન થાય તેના માટે પણ તેમના પ્રતિબળો કામ કરી રહ્યા છે.’ વધુમાં સૌરાષ્ટ્રના SPG અધ્યક્ષ કલ્પેશ રાંકએ કહ્યું કે, ‘ક્ષત્રિય સમાજના આગેવાન અને પાટીદાર વચ્ચેની ઓડિયો બાબતે પોલીસમાં અરજી કરશે’.

આ પણ વાંચો: પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યા પાટીદાર સમાજના યુવાનો

રૂપાલાના સમર્થનમાં પાટીદાર સમાજના યુવાનો
મોરબી ખાતે પાટીદાર સમાજના યુવકો દ્વારા રૂપાલાના સમર્થનમાં સોશિયલ મીડિયામાં પોસ્ટ શરૂ થઈ છે. સોશિયલ મીડિયામાં સામે આવેલી પોસ્ટમાં પરશોત્તમ રૂપાલા વિશે લખવામાં આવ્યું છે કે,‘રૂપાલાજી, આપને સાંભાળવા માટે લોકો આતુર હોય છે. દર વખતે આપ કંઇક નવું શીખવો છો. ક્યારેક કોઇ ભૂલથી બોલાઇ જાય પરંતુ આપનો સ્વભાવ તે નથી તેમજ આપ ક્રિમિનલ કાર્ય નથી તે યાદ રાખીને માફ કરવું જોઇએ.’ અન્ય એક પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે,‘જાગો પાટીદાર જાગો. સમાજના પાટીદાર કદાવર રાજકીય આગેવાનોની સાથે ગેરવર્તન કરી રહ્યું છે, માફી માગ્યા પછી પણ આવું.’