એકતા નગરમાં તડામાર તૈયારી, PM નરેન્દ્ર મોદીની હાજરીમાં ઉજવણી

પ્રવિણ પટવારી, રાજપીપળાઃ એકતા નગર કેવડીયામાં રાષ્ટ્રીય એકતા દિવસની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જેમાં ખાસ રાષ્ટ્રીય એકતા પરેડ સૌથી મોટું આકર્ષણ છે. કારણ કે, આ રાષ્ટ્રીય એકતા પરેડમાં દેશના NSG કમાન્ડો, CHETAK કમાન્ડો, આર્મી, બીએસ એફ, એરફોર્સ, સહિત CISF, SRP, NCCના કેડેટ સહિત સુરક્ષા ફોર્સ પોતાના વિવિધ કરતબો રજૂ કરશે. આ અંગેની પ્રેક્ટિસ ચાલી રહી છે. સવારથી સાંજ સુધી એકતા પરેડ ગ્રાઉન્ડમાં પ્રેક્ટિસ ચાલી રહી છે.
આ સાથે પ્રોગામમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 તારીખે કેવડિયામાં રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં આવશે. 30 તારીખે નરેન્દ્ર મોદી 1 વાગે કેવડિયા હેલિપેડ આવશે. ત્યારબાદ અનેક નવા પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે. 30 તારીખે સાંજે નર્મદા આરતીમાં ભાગ લેશે.
દિવાળીના તહેવારને લઈને નર્મદા કિનારે દિપોત્સવ મનાવવામાં આવશે. આ પ્રસંગે 1.50 લાખ દીવડાં પ્રગટાવી મા નર્મદાની આરતી ઉતારવામાં આવશે. બીજા દિવસે 31 ઓકટોમ્બરના રોજ સવારે 8 વાગે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા પર પુષ્પાંજલિ અર્પણ કરશે અને 9 વાગે પરેડ ગ્રાઉન્ડ ખાતે આવશે.