જામનગરમાં ભોઈ સમાજ દ્વારા હોળીની અનોખી ઉજવણી, 69 વર્ષથી તૈયાર કરે છે હોલિકાનું 25 ફૂટનું પૂતળું

સંજય વાઘેલા, જામનગરઃ અસત્ય પર સત્યની જીતના પર્વ હોળીની જામનગર સહિત રાજ્યમાં પરંપરાગત રીતે ઉજવણી કરવામાં આવતી હોય છે. ત્યારે જામનગરમાં છેલ્લા 69 વર્ષથી ભોઈ સમાજ દ્વારા સૌથી ઉંચી હોલિકાનું પૂતળું બનાવી પરંપરાગત રીતે હોળીની ઉજવણી કરવામાં છે. ફાગણ સુદ પૂનમના દિવસે મોટો હોલિકા મહોત્સવ ઉજવણી શરુ થઈ ચૂક્યો છે.

ભોઈ જ્ઞાતિ સમસ્ત જામનગર દ્વારા પ્રતિ વર્ષની જેમ આ વર્ષે પણ વિશ્વ વિખ્યાત હોલિકા મોહત્સવ 2025નું શાનદાર અને જાજરમાન આયોજન કરાયું છે. ઇતિહાસની વાત કરવામાં આવે તો સનાતન હિન્દુ ધર્મગ્રંથમાં દર્શાવેલી વાર્તા ભક્ત પ્રહલાદ અને હોલિકાની કથાને આધારિત પ્રતિકૃતિ સ્વરૂપે ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરના વડીલો દ્વારા આ હોલિકાનું પૂતળું બનાવાવમાં આવે છે.

મહત્વની વાત તો એ છે કે, આજથી 69 વર્ષ પહેલાં જામનગરમાં હોલિકાનું વિશાળ પૂતળું બનાવી સમાજ અને દુનિયાને હિન્દુ ધર્મની શકિતનો પરિચય કરાવ્યો હતો. જે પરંપરા નવી પેઢીએ પણ અકબંધ રાખી છે અને આ જ રીતે દરવર્ષે ઉજવણી કરવામાં આવે છે.

આ આયોજનની ખાસિયત એ છે કે, વિશ્વના અનેક આયોજન કરતાં તે અલગ પડે છે. ભોઈ સમાજના લોકો હોલિકા ઉત્સવને ઉજવવા એક મહિના પહેલાથી તૈયારીઓમાં લાગી જાય છે. વિશાળ કદનું પૂતળું બનાવવામાં આવે છે. જેની ઉંચાઈ લગભગ 25 ફૂટ જેટલી હોય છે. જેનું વજન અંદાજિત 3/4 ટન જેટલું હોય છે. હોલિકાનું પૂતળું તૈયાર થઈ ગયા બાદ વાજતે ગાજતે ભોઇ જ્ઞાતિ સમસ્ત જામનગરની વાડીથી સુભાષ માર્કેટ નજીક આવેલા હોલિકા ચોક ખાતે લોકોને દર્શન માટે મુકવામાં આવે છે. જેની શોભાયાત્રામાં વાજતે ગાજતે ડીજેના તાલે ભોઈ જ્ઞાતિના નાના બાળકોથી લઈને યુવાનો જુદા જુદા અંગ કસરતના દાવ રજૂ કરી આ શોભાયાત્રામાં જોડાય છે.

હોલિકાનાં પૂતળા માટે ઘાસ, લાકડું, કોથરા, કાગળ, કલર, આભૂષણ માટે અલગ અલગ પ્રકારના ઓર્નામેટ સહિતની ચીજ વસ્તુનો ઉપયોગ કરવામાં આવે છે. હોલિકાના આભૂષણો બનાવવા શનિભાઈ કુંભારાણા અને તેમની ટીમ જહેમત ઉઠાવે છે. તેમજ પીઓપી આર્ટિસ્ટ તરીકે રમેશભાઈ જેઠવા સેવા આપે છે અને સમગ્ર ભોઈ સમાજના વડીલો અને યુવાનો સાથે મળી આ હોલિકાનું પૂતળું તૈયાર કરે છે. આ અવસરને નિહાળવા માટે અડધું જામનગર એકઠું થતું હોય છે.