May 15, 2024

કાશ્મીરમાં ભારે વરસાદ અને હિમવર્ષા… ક્યાંક ન બની જાય આફત, શ્રીનગર-લેહ હાઈવે બંધ

Jammu Kashmir: જમ્મુ-કાશ્મીરમાં ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. પૂર જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના છે. વરસાદના કારણે નદી-નાળાના જળસ્તરમાં વધારો થયો છે. આજે ઉપરના વિસ્તારોમાં નવેસરથી હિમવર્ષા થઈ છે. સોનમર્ગમાં 3 ઈંચથી વધુ હિમવર્ષા થઈ છે, જેના કારણે શ્રીનગર-લેહ હાઈવેને વાહનવ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. આ સિવાય ઝોજિલા, સાધના ટોપ, રાઝદાન પાસ, દાવર ગુરેઝ, તુલૈલ ગુરેઝ, માછિલ, કોંગદોરી, મુખ્ય ગુલમર્ગ, સિંથાન ટોપ અને મુગલ રોડ પર પણ હિમવર્ષા થઈ છે.

હવામાન વિભાગે કાશ્મીરમાં આગામી થોડા દિવસો દરમિયાન વધુ વરસાદ અને ઊંચા વિસ્તારોમાં હળવો હિમવર્ષા થવાની આગાહી કરી છે. જ્યાં ચાલુ વરસાદને કારણે રાત્રિના તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે મંગળવારની મોડી બપોરથી બુધવારે સવાર સુધી વરસાદી માહોલ જારી રહેવાની સંભાવના છે. જો કે, સોમવારની સરખામણીમાં તેની તીવ્રતા અને અસર ઓછી રહેશે. એવી આશંકા છે કે કેટલાક સ્થળોએ અચાનક પૂર, તીવ્ર કરા, ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. લોકોને 1 મે સુધી જમ્મુ-શ્રીનગર હાઈવે પર મુસાફરી કરવાનું ટાળવા માટે ઘણી અપીલ કરવામાં આવી છે.

પ્રવાસીઓ માટે એડવાઈઝરી જારી
કાશ્મીરમાં સિંચાઈ અને પૂર નિયંત્રણ (I&FC) વિભાગે લોકોને ખાતરી આપી હતી કે હાલમાં કાશ્મીરમાં પૂરનો કોઈ તાત્કાલિક ખતરો નથી. હવામાન વિભાગ સક્રિયપણે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યું છે અને કહ્યું કે આ સમયે ગભરાવાની જરૂર નથી. જેલમ નદી અને અન્ય જળાશયોમાં પાણીના સ્તરનું પ્રતિ કલાકના ધોરણે મૂલ્યાંકન કરવામાં આવે છે. અધિકારીએ લોકોને સાવચેત રહેવા અપીલ કરી છે.

શ્રીનગર પ્રશાસને જેલમ નદી અને તેની આસપાસ રહેતા લોકો અને પ્રવાસીઓ માટે એડવાઈઝરી જારી કરી છે. લોકોને સાવચેતી રાખવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે ઈમરજન્સી દરમિયાન ફ્લડ કંટ્રોલ રૂમ દ્વારા જારી કરાયેલા ફોન નંબર પર માહિતી આપવી જોઈએ. ખરાબ હવામાન અને હિમપ્રપાતની ચેતવણીને કારણે કુપવાડામાં શાળાઓ બંધ કરી દેવામાં આવી છે. વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સાવચેતીના પગલારૂપે જિલ્લાભરની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જો કે ટીચીંગ અને નોન ટીચીંગ સ્ટાફ ફરજ પર રહેશે.

રામબન-ગુલ રોડ પર લેન્ડ સ્લાઈડ
રામબન-ગુલ રોડ પર સતત લેન્ડ સ્લાઇડ થઈ રહી છે. ઘણા કિલોમીટર જમીન ધસી ગયા બાદ રામબનથી 6 કિલોમીટર દૂર પરનોટ ગામમાં અત્યાર સુધીમાં 100થી વધુ મકાનોને નુકસાન થયું છે. લેન્ડ સ્લાઈડ બાદ સ્થાનિક પ્રશાસને ઘણા પરિવારોને સલામત સ્થળે ખસેડ્યા છે. પરંતુ આ વિસ્તારમાં વરસાદના કારણે સ્થિતિ જોખમી બની રહી છે. ઘટના બાદ આ વિસ્તારમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો અને 60 હજારથી વધુ લોકોનો મુખ્ય શહેર સાથેનો સંપર્ક તૂટી ગયો હતો. ઘરોમાં તિરાડો દેખાયા બાદ લોકોને બચાવીને સલામત સ્થળે મોકલવામાં આવી રહ્યા છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ જમીન ધસી જવાને કારણે પાકને પણ નુકસાન થયું છે. ગત વર્ષે ફેબ્રુઆરીમાં પણ આવી જ ઘટના બની હતી. જમીન ધસી જવાને કારણે ગુલ અને રામબન વચ્ચેનો માર્ગ સંપર્ક તૂટી ગયો હતો અને 16 મકાનો ધરાશાયી થયા હતા. જમ્મુ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્ર વિભાગના પ્રોફેસરના જણાવ્યા અનુસાર રામબન જિલ્લાના પરનોટ ગામમાં જમીન ધસી પડવા અને તિરાડો આવવાનું કારણ ચેનાબ નદીમાં થઈ રહેલી ટેક્ટોનિક હિલચાલ હોઈ શકે છે. એટલે કે પૃથ્વીની સપાટીની નીચે ઉથલપાથલ થઈ શકે છે.