રાજ્ય સરકારે કર્મચારીઓના મોંઘાવારી ભથ્થામાં કર્યો વધારો, 3 મહિનાનું એરિયર્સ ચૂકવાશે

ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યની મળેલી કેબિનેટ બેઠકમાં કર્મયોગી હિતકારી નિર્ણય લેવાયો છે. જેમાં રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં જાન્યુઆરી-2025થી કેન્દ્રના ધોરણે વધારો જાહેર કર્યો છે. છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સેવાના અને પંચાયત સેવા તથા અન્ય મળી 4.78 લાખ કર્મચારીઓ અને 4.81 લાખ પેન્શનર્સને લાભ મળશે. મોંઘવારી ભથ્થામાં વધારાની 3 માસની તફાવત રકમ-એરિયર્સ એક જ હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય કરીને છઠ્ઠા તેમજ સાતમા પગાર પંચનો લાભ મેળવતા રાજ્ય સરકારના કર્મચારીઓને કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ તા.1 જાન્યુઆરી, 2025થી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલે મુખ્યમંત્રીના નેતૃત્વમાં લેવામાં આવેલા આ કર્મયોગી હિતકારી નિર્ણયની જાહેરાત કરતા કહ્યું કે, સાતમા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના જે કર્મયોગીઓ છઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 6 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. આ મોંઘવારી ભથ્થાની 3 માસની એટલે કે 1 જાન્યુઆરી 2025થી 31 માર્ચ 2025 સુધીની તફાવતની રકમ એક હપ્તામાં એપ્રિલ-2025ના પગાર સાથે ચૂકવવામાં આવશે.
આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના, પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ 4.78 લાખ કર્મયોગીઓ અને અંદાજે 4.81 લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શનર્સને મળવાપાત્ર થશે. એટલું જ નહીં, રાજ્ય સરકાર આ એરિયર્સ પેટે કુલ મળીને 235 કરોડ રૂપિયાની કર્મચારીઓને ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક 946 કરોડની ચુકવણી પગારભથ્થા-પેન્શન પેટે થશે તેમ પણ પ્રવક્તામંત્રીએ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રાજ્ય મંત્રીમંડળની બેઠકે કરેલા આ કર્મચારી હિતકારી નિર્ણયના અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા અંગેની પણ સૂચનાઓ આપવામાં આવી છે તેમ મંત્રી ઋષિકેશભાઈ પટેલે જણાવ્યુ હતુ.