અંકલેશ્વરમાં જંગલી ભૂંડ-નીલગાયના ત્રાસથી ખેડૂતો પરેશાન, ધરતીપુત્રોને આર્થિક નુકસાન

અંકલેશ્વરઃ હાંસોટના ગ્રામ્ય વિસ્તારોમાં ભૂંડના ત્રાસના કારણે ખેડૂતો હેરાન-પરેશાન થઈ ઉઠ્યા છે. ભૂંડના ટોળેટોળા ખેડૂતોના ઉભા પાકને નુકસાન પહોંચાડી રહ્યા છે. જેના કારણે ધરતીપુત્રોએ આર્થિક નુકસાની સહન કરવાનો વારો આવી રહ્યો છે.
ધરતીના તાત માટે હવે ખેતી કરી જીવન નિર્વાહ કરવો અત્યંત મુશ્કેલ થઈ પડ્યો છે. ક્યારેક કમોસમી વરસાદ તો ક્યારેક પાકમાં રોગ આવી જવો અને ક્યારેક પાકનો પોષણક્ષમ ભાવ ન મળવો. આ તમામ સમસ્યા તો ઉભી છે, ત્યાં એક નવી જ સમસ્યા જોવા મળી રહી છે. અંકલેશ્વર-હાંસોટ પંથકમાં ખેડૂતો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે અને તેનું કારણ છે જંગલી ભૂંડ અને નીલગાય.
અંકલેશ્વરના બોરભાઠા, સજોદ, ધંતુરીયા, નવા તરિયા તો હાંસોટના શેરા સુણેવ, સાહોલ અને ઇલાવ સહિતના ગામોમાં જંગલી ભૂંડનો ત્રાસ એટલી હદે વધી ગયો છે કે, ખેડૂતોની ઉંઘ હરામ થઈ ગઈ છે. જંગલી ભૂંડ ઝૂંડ બનાવી ખેતરમાં પ્રવેશે છે અને શેરડી-શાકભાજી સહિતના પાકનો દાટ વાળી દે છે. માદા ભૂંડ એકસાથે 8થી 10 બચ્ચાને જન્મ આપે છે. તેમાં મૃત્યુદર પણ ઘણો ઓછો હોય છે. જેના કારણે જંગલી ભૂંડનો ત્રાસ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. આ અંગે ખેડૂતોના જણાવ્યા અનુસાર, તેઓ ખેતરોમાં કાંટાવાળી તાર ફેંન્સિંગ કરવામાં આવી છે. આ ઉપરાંત ઝાટકા મશીનનો પણ ઉપયોગ કરવા છતા તેમના પાકનું રક્ષણ થઈ શકતું નથી.
ખેડૂતોના ખેતરોને જંગલી ભૂંડના ટોળાએ ઘર બનાવી લીધું છે અને ખેડૂતોના ઊભા પાકોને નાશ કરી રહ્યા છે. જંગલી ભૂંડ સામે બાથ ભીડવામાં ખેડૂતોને જાનનો ખતરો પણ છે. તાજેતરમાં જ અંકલેશ્વરના પારડી ગામે ભૂંડના હુમલામાં એક વ્યક્તિનું પણ નિપજ્યું હતું. આ અંગે ભરૂચ જિલ્લા ખેતીવાડી અધિકારી કુલદીપ વાળાએ જણાવ્યું હતું કે, જંગલી પશુઓના રક્ષણ માટે સરકાર ખેડૂતોને કાંટાળી વાડ અને ઝાટકા મશીન મૂકવા સહાય આપી રહી છે. આ અંતર્ગત ગત વર્ષે 1 કરોડ કરતાં વધુની સહાય આપવામાં આવી છે.
સરકાર ખેડૂતોને જંગલી ભૂંડ અને નીલગાયના ત્રાસથી રક્ષણ આપવા માટે કાંટાળી વાડ તેમજ ઝાટકા મશીન આપે છે. પરંતુ તેનાથી પણ ખેડૂતોના પાકને રક્ષણ મળતું નથી. દિવસેને દિવસે જંગલી ભૂંડનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે આ સમસ્યાનું કોઈ નક્કર આયોજન કરી તેનું નિરાકરણ કરવામાં આવે તેવી ખેડૂતો માગ કરી રહ્યા છે.