ગીર વિસ્તારના નેસડાઓમાં ઘાસચારા-પાણીની અછત, માલધારીઓ હિજરત કરવા મજબૂર

દશરથસિંહ રાઠોડ, અમરેલીઃ જિલ્લાના ખાંભા તેમજ ધારી ગીર જંગલના માલધારીઓને ઘાસચારા અને પાણીની અછત થઈ છે. ત્યારે ગાંડી ગીરના જંગલોમાં વસવાટ કરતા માલધારીઓએ જંગલોનાં નેસડા છોડીને ગામડાઓમાં પડાવ નાંખ્યા છે.
ગીરનું ઘરેણું સિંહો છે પણ સિંહોની સુરક્ષા સાથે જંગલની વિરાસત આ જંગલ વિસ્તારોમાં વસતા નેસડાઓ છે. હાલ આ ગીર જંગલ વિસ્તારમાં રેબડી નેસ, રાજસ્થળી નેશ, લોકીનેશ, ડોઢીનેસ, આહુન્દ્રારી નેસ, ઉમરિયા નેસ, છાપરાનેસ, ભાણીયા નેસ જેવા નેસડાઓ સાવ ખાલીખમ થઈ ગયા છે. તેનું મુખ્ય કારણ પાણી સાથે ઘાસચારાની અછતને કારણે માલધારીઓએ હિજરત કરવાની ફરજ ઊભી થઈ છે. જંગલના નેસમાં વસતા માલધારીઓ જંગલના નેસ ખાલી કરીને ગીરના રેવન્યૂના ગામડાઓમાં બોર્ડર પર આશરો નાંખીને આખો ઉનાળો બાદ ચોમાસાના પહેલા વરસાદ થાય ત્યાં સુધી માલઢોરના નિભાવ માટે પડાવ નાંખ્યા છે.
ઓણ સાલ જંગલ વિસ્તારમાં પાછોતરો વરસાદ ઓછો હોવાથી જંગલ વિસ્તારમાં વસતા માલધારીઓને પણ નડ્યો છે. કારણ કે, જંગલમાં ઘાસચારો અને પાણીના પોઇન્ટ અને પાણીના ફૂટીયાઓ અને નદી-નાળાઓમાં પાણી ખલાસ થઈ જવાને કારણે માલઢોર પર નભતા માલધારીઓને નાછૂટકે ખાંભા ગીરના રેવન્યૂ ગામડાઓમાં હિજરત કરવાની ફરજ ઊભી થઈ છે.
પાણી અને ઘાસચારાની અછત ઊભી થતાં દર વર્ષે માલધારીઓ જંગલમાંથી નેસડા ખાલી કરીને ગામડાઓમાં પશુઓના નિભાવ માટે નીકળી જવું પડતું હોય છે. પરંતુ આ વખતે સારો વરસાદ પડ્યો હતો. તેમ છતાં માલધારીઓને હીજરત કરવાની નોબત આવી ગઈ છે અને જંગલોનાં નેસડા સૂમસામ ભાસી રહ્યા છે.